Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

 Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ

અહેવાલ : મનોજ ખેંગાર 

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે. 

સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે. 


હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે. 

અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. 

પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રહે તે માટે, રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલયે અહીં પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, પ્રકૃતિપ્રેમી પર્યટકોને પ્રકૃતિનો અણમોલ નજારો માણવાની સુગમતા કરી આપી છે. 

'ગીરાધોધ' ખાતે ગત વર્ષોમાં રૂ.૨.૧૫ કરોડના ખર્ચે 'સોવેનિયર શોપ સંકુલ' તૈયાર કરીને, સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા સાથે 'અતિથિ દેવો ભવ' ની અહીંની ભાવનાને ઉજાગર કરવાની પણ રાજ્ય સરકારે નેમ વ્યક્ત કરી છે.

અહીં ૩૨ જેટલી દુકાનોના માધ્યમથી પર્યટકોને સુવિધા મળવા સાથે સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહે, અને અહીં આવતા હજ્જારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ સરળતાથી મળી રહે, તથા ડાંગની 'અતિથિ દેવો ભવ'ની સંસ્કૃતિ અને સંસ્કારને પણ ઉજાગર કરી શકાય તેવા અભિગમ સાથે, દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા 'ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી-આંબાપાડા' ને આ દુકાનોનુ પી.પી.પી. ધોરણે સંચાલન સોંપીને, ૩૨ પરિવારોને સીધી રોજગારી પુરી પાડી છે. 


અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે પણ સૌને સચેત રહેવાનો અનુરોધ કરતા જિલ્લા વહીવટી તંત્રે અહીં વિવિધ માર્ગદર્શક બોર્ડ મૂકીને, પર્યટકોને ગીરાધોધ, અને નદીમા ન્હાવા કે ઉતરવાની મનાઈ ફરમાવી છે. ભૂતકાળમા અહીં એક બે નહિ, પુરા બાવીસ લોકો તેમનો અમૂલ્ય જીવ ગુમાવી ચુક્યા હોવાની વિગતો પણ અહીં દર્શાવાઇ છે. 


વન વિસ્તારમા પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે, સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે 'નો પ્લાસ્ટિક ઝોન' જાહેર કર્યો છે ત્યારે અહીંના પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ વન વિભાગે અપીલ કરી છે. 


ડાંગના જુદા જુદા પર્યટન સ્થળોએથી તમે ડાંગ જિલ્લાની યાદગીરીરૂપે વાંસની વિવિધ બનાવટો જેવી કે રમકડા અને શો પીસ સહિત નાગલી અને તેના વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી શકો છો. ગીરાધોધ ખાતે સ્થાનિક વેપારી પરિવારો પર્યટકો સાથે તાદાત્મ્યતા કેળવી, તેમના વેપાર ધંધાના વિકાસ સાથે ડાંગ જિલ્લાના આતિથ્ય સત્કારની ઉચ્ચત્તમ પરંપરાનો પણ પરિચય કરાવી રહ્યા છે. 

વઘઇના આ 'ગીરાધોધ' ઉપરાંત ગુજરાતનો સૌથી ઊંચો સુબિર તાલુકાના ગિરમાળ ગામનો 'ગિરમાળ ધોધ' પણ પ્રવાસીઓનો માનીતો અને ચહિતો ધોધ છે. ત્રણસો ફૂટની ઊંચાઈએથી નીચે ખાબકતો જળપ્રપાત પર્યટકોને રૌદ્ર અને રમ્ય અહેસાસ કરાવે છે. અહીં પણ જિલ્લા પ્રવાસન સમિતિ, અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ધોધ તરફ જતા માર્ગમાં આવતો પૂર્ણાં નદીનો 'સી વ્યૂ' પર્યટકોને પૂર્ણાં સેન્ચુરીનો એરિયલ વ્યુ પ્રદાન કરે છે.



તો આહવાના સીમાડે આવેલા 'શિવ ઘાટ' અને 'યોગેશ્વર ઘાટ' ના બે ટુરિસ્ટ ફ્રેન્ડલી વોટરફોલ શિવજી સહિત પર્યટકો ઉપર પણ જળાભિષેક કરે છે. મહાલ-બરડીપાડા રોડ ઉપરનો 'મહાલ વોટરફોલ', ચનખલની સીમમાં આવેલો 'બારદા ધોધ', ડોન ગામનો 'દ્રોણ ધોધ', પાંડવા ગામનો 'અંજની ધોધ', માયાદેવીનો 'સ્ટેપ ધોધ' ચોમાસાની ભીની ભીની મોસમમાં પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે.

ઊંચા ઊંચા ડુંગરો ઉપરથી નીચે ખીણમાં ખાબકતા શ્વેત દુગ્ધધારા જેવા અનેક નામી અનામી જળધોધ ઉપરાંત, ખીણ પ્રદેશમાં જાણે કે આકાશમાંથી પોતાના પ્રિયતમથી વિખૂટી પડી, એકલી અટુલી અટવાતી શ્વેત શ્યામ વાદલડી અને તેની ધૂમ્રશેર ડાંગના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. આવા માદક અને મનમોહક માહોલને માણવું હોય તો પ્રાકૃતિક ડાંગ જિલ્લો તમને સાદ દઈ રહ્યો છે.

વરસાદી વાયરાની વચ્ચે ચોમાસાની હેલીથી તરબતર વનસૃષ્ટિમાં ડુંગરા ખૂંદવા માટેની ચાહ હોય, તેને માટે આ બધી રાહ આસાન છે ! બાકી તો ડુંગરા દૂરથી રળિયામણા એમ માનીને ટેલિવિઝનના પડદે, અને અખબારો, સામયિકોના પાને આ જળધોધના આકર્ષક ફોટોગ્રાફસ જોઇને જ મન મનાવવુ પડે ! અને હાં, આ જળધોધની મુલાકાત લઇને પ્રકૃત્તિના નજારાને મનભરીને માણવાનું તો સૌને ઇજન છે જ. પરંતુ રોમાંચ અને ક્ષણિક આવેશના જોશમાં સેલ્ફી કે ફોટોગ્રાફીની ઘેલછામાં, ક્યાંક અજુગતુ ન બને તે માટે સભાન રહેવુ પણ એટલુ જ જરુરી છે.


ચોમાહાની ખરી મઝા તો ડાંગમાં જ આવે - ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો...

Posted by Info Dang GoG on Monday, July 15, 2024

Comments

Popular posts from this blog

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

   Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિય કરવા તાકીદ કરતા પાણી પૂરવઠા મંત્રી નવસારી તા.14: નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.  મંત્રીશ્રીએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પૂરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.   આ ઉપરાંત મંત્રીશ્રીએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું કે, એજન્સી પાસે યોગ્ય મેનપાવર છે કે નહી તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે-તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઇ શકે. અંતે પ્રભાગના...

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

  Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ ...

Navsari: નવસારી સયાજી લાયબ્રેરીમાં 42 વક્તાઓને સન્માનિત કરાયા

  Navsari: નવસારી સયાજી લાયબ્રેરીમાં 42 વક્તાઓને સન્માનિત કરાયા